ઓસ્ટ્રેલિયાની વિઝા અરજીઓ પરની કાર્યવાહી ખાનગી કંપનીને સોંપી દેવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે મુક્યો છે. તેની પાછળ રહેલું કારણ જણાવતા ગૃહ મંત્રાલયે કહ્યું છે કે વર્ષ 2028 સુધીમાં દર વર્ષે ઓસ્ટ્રેલિયાની વિવિધ વિઝા કેટેગરીને આવરી લેતી 13 મિલિયનથી વધુ અરજીઓ થવાનો અંદાજ છે એટલે વિઝા પ્રક્રિયાને આઉટસોર્સ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.
કેન્દ્ર સરકાર વિઝા પ્રોસેસિંગ માટે 80 મીલીયન ડોલરને ખર્ચે "ગ્લોબલ ડિજિટલ પ્લેટફોર્મ" તૈયાર કરવાની યોજના ધરાવે છે.
વિઝા પ્રોસેસિંગના ખાનગીકરણથી કોઈ નોકરીઓ પર કાપ નહિ મુકાય તેવી ખાતરી ગૃહ મંત્રાલયે આપી છે.
માઇગ્રેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્હોન હૌરીગન વિઝા પ્રોસેસિંગના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે સંગઠન ડીજીટલ પ્લેટફોર્મના અમલીકરણને ટેકો આપતું નથી કારણ કે સરહદી સુરક્ષા અને ઇમિગ્રેશન સેવાઓના ખાનગીકરણ અને વ્યવસાયિકરણથી દેશની અખંડિતતા અને આર્થિક નફા વચ્ચે તણાવ ઉભો થશે.
તેમના મતે ગ્લોબલ ડિજિટલ પ્લેટફોર્મનો પ્રારંભિક ખ્યાલ જ ખામીયુક્ત છે. જાહેર સેવા યુનિયનના માઇકલ ટલ પણ તેમની સાથે સંમત છે.
સેનેટ સમિતિ સમક્ષ માઇકલે સુનવણીમાં કહ્યું હતું કે વિઝાના ખાનગીકરણ પર અમલ કરવાના 9 અબજ ડોલરના કરારમાં માત્ર બે કંપનીઓએ રસ દાખવ્યો છે તે પણ મોટી ચિંતાનો વિષય છે.
ઈમિગ્રેશન જેવી ગંભીર બાબત નફાના ઉદેશ્ય સાથે ચાલતી બે વ્યાવસાયિક કંપનીઓને સોંપી દેવી જોખમરૂપ છે. તે ઉપરાંત એવી પણ ચિંતા છે કે વિઝા અરજી પ્રક્રિયાના ખાનગીકરણના પરિણામ રૂપે કેટલાક અરજદારો વંચિત રહી શકે છે.
બ્રિટનમાં વિઝા પ્રક્રિયાનું ખાનગીકરણ
કમ્યુનિટિ એન્ડ પબ્લિક સેક્ટર યુનિયનની મેલિસા ડોનેલીએ બ્રિટનનાં ઉદાહરણો આપતા કહ્યું છે કે યુકેમાં, વિઝા ખાનગીકરણને પરિણામે નબળા અરજદારોનું શોષણ કરવામાં આવે છે.
ખાનગી પ્રદાતાઓ ઝડપી વિઝા માટે ઉંચી કિંમત વળી અલગ સેવાઓ આપે છે અને વિઝા મળવામાં થતા વિલંબનો દુરુપયોગ કરે છે. એટલે કે એક સેવા એવી છે જ્યાં અમુક અરજદારો જે વધુ ચૂકવણી કરી શકે છે તેઓ વધુ સારી સેવાઓ મેળવી શકે છે.
તે ઉપરાંત વિઝા અરજદારો માટે વિઝાના પ્રકારને આધારે ખર્ચમાં 14 થી 72 ટકાનો વધારો થયો છે. વૈકલ્પિક સેવાઓ માટે 5 થી 1000 પાઉન્ડ સુધીની રકમ ચૂકવવી પડે છે.
સરકારી સેવાઓ જાહેર જનતા સુધી પહોચાડવામાં વ્યવસાયો મોટો નફો રળી રહ્યા છે અને ઘણા અરજદારોને નુકસાન થાય છે. ગુણવત્તા નિયંત્રણ ને બદલે નફો કેન્દ્રિત સેવાઓનું આ સ્પષ્ટ ઉદાહરણ છે.
ઇમિગ્રેશન વિભાગના પૂર્વ નાયબ સચિવ ડો અબ્દુલ રિઝવીએ પણ ચેતવણી આપી છે કે નફાના હેતુથી સમગ્ર ઇમિગ્રેશન સિસ્ટમની અખંડિતતા જોખમમાં મુકાઇ જશે. અને અંતે સરકાર વિઝા સિસ્ટમનું નિયંત્રણ ગુમાવી દેશે.
વિઝા પ્રોસેસ ઓઉટસોર્સની અમુક વિભાગો પર વધુ અસર
એવા પણ ડર છે કે આ પગલાથી વિઝા પ્રક્રિયાના માનવીય પાસા પણ ગુમ થઇ જશે એટલે કે માનવીય કારણો સર અમુક અરજદારોને મળતી રાહત પણ ગુમાવવી પડશે દા.ત વિદ્યાર્થી વિઝાને મંજૂરી આપવા માટે જરૂરી 28 પગલાંઓમાંથી ફક્ત એક જ ગૃહ બાબતોના વિભાગ પાસે રહેશે અન્ય તમામ તપાસ ખાનગી કંપની હસ્તક થઇ જશે.
પરંતુ ગૃહ વિભાગ તફરથી મલિસા ગોલાઇટલીએ ભારપૂર્વક જણાવ્યું છે કે વિઝા પ્રક્રિયા માત્ર કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ નહીં બને. નિર્ણયોને મંજૂર કે નામંજૂર રાખવાના અધિકાર વિભાગીય અધિકારીઓને આપવામાં આવશે.
ખાનગીકરણથી રેફ્યુજી વિસાના અરજદારોને સૌથી વધુ નુકસાન થશે કારણકે તેમને આ પ્રક્રિયા પરવડશે નહિ તેમ રેફ્યુજી સર્વિસમાંથી સારા ડેલ જણાવે છે.
તે ઉપરાંત જે નિરાશ્રીતો ત્રાસ, આઘાત અને અન્ય હિંસાનો ભોગ બન્યા હોય તેમની સાથે વ્યવહાર કરવા વિશેષ તાલીમની જરૂર પડે છે જેની વ્યવસાયિક ધોરણે ખાતરી નહિ કરી શકાય.
સરકાર ઈચ્છે છે કે વિઝા પ્રક્રિયાને એક ખાનગી કંપની સંચાલિત પ્લેટફોર્મ પર આવતા વર્ષે ઓનલાઈન કરી દેવામાં આવે.